Search
Close this search box.

વરસાદના કારણે બદ્રીનાથ યાત્રા અટકાવવામાં આવી, ઉત્તરાખંડમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ

દેહરાદૂન : ઉત્તરાખંડ (Uttarakhand)માં વરસાદને કારણે આફત સર્જાઈ છે. ચમોલી જિલ્લામાં નેશનલ હાઈવે (National Highway)નો એક ભાગ ધોવાઈ જતાં બદ્રીનાથ (Badrinath) યાત્રા રોકી દેવાઈ છે, જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી હાઈવે 12 કલાકથી વધુ સમયથી બંધ છે. અહીં વારંવાર ભૂસ્ખલન (Landslide) થઈ રહ્યું છે. પહાડો પરથી ભૂસ્ખલનની ઘણી તસવીરો સામે આવી રહી છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવતા જોવા મળી રહ્યા છે. અહીં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઓછામાં ઓછા 5 જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain)નું એલર્ટ જાહેર કર્યું છે.

30 જુલાઈના રોજ વરસાદની ચેતવણી વિશે વાત કરતા ઝોનલ હવામાન કેન્દ્રએ દેહરાદૂન, ચમોલી, બાગેશ્વર, ટિહરી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 31 જુલાઈના રોજ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે, ગઈકાલે 29 જુલાઈના રોજ ચમોલી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે દહેરાદૂનમાં ગઈકાલે રાતથી વરસાદ પડી રહ્યો છે અને બાગેશ્વરમાં પણ વરસાદ પડી રહ્યો છે.

શુક્રવારે ભારે વરસાદને કારણે લામ્બાગઢ નજીક બદ્રીનાથ નેશનલ હાઇવે લગભગ 10 મીટર સુધી ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે બદ્રીનાથ ધામ જનારા અને પરત ફરતા યાત્રીઓ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. કહેવાઈ રહ્યું છે કે આજે સાંજ સુધીમાં રસ્તો ખુલ્લો થઈ શકે છે. આવી સ્થિતિમાં યાત્રિકો જીવ જોખમમાં મુકીને બદ્રીનાથ ધામ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે જંગલમાંથી ઉભો ચઢાણ પાર કરીને પ્રશાસન સામે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો – 
ગુમ મહિલાને શોધવામાં ખર્ચ કરી નાખ્યા 1 કરોડ રૂપિયા, તે મહિલા બોયફ્રેન્ડ સાથે મળી આવી

પોલીસ પ્રશાસને યાત્રીઓને જોશીમઠ, પાંડુકેશ્વર જેવા સુરક્ષિત સ્થળોએ રોક્યા છે, જ્યારે બદ્રીનાથ ધામથી ઋષિકેશ જઈ રહેલા તીર્થયાત્રીઓને ધામમાં પરત મોકલવામાં આવ્યા છે.

ઉત્તરકાશીની લાઈફ લાઈન ગંગોત્રી હાઇવે બંદરકોટ પાસે છેલ્લા ત્રણ દિવસથી ભૂસ્ખલન થઈ રહ્યું છે. અવારનવાર બંધ કરવામાં આવતો આ હાઇવે ગઇકાલ સાંજથી જ ઠપ થઇ ગયો છે. મોટી સંખ્યામાં મુસાફરો ફસાયેલા છે અને પ્રશાસને પહાડોમાં તિરાડ જોઈને દરેકને વૈકલ્પિક માર્ગે 10 કિમી પાછા જવાની સલાહ આપી છે. આ માર્ગે વધારાના બે કલાક મુસાફરી કરવી પડે છે. ભારે વરસાદને કારણે ગંગોત્રી હાઈવેના 200 કિલોમીટરના ભાગમાં આ જગ્યાએ લેન્ડસ્લાઈડ ઝોન સક્રિય થઈ ગયો છે. આ ઉપરાંત ત્રણ જગ્યાએ ભૂસ્ખલનની સ્થિતિ છે.

ઉત્તરકાશી જિલ્લાના ભંડારસ્યુ પટ્ટીના મંજગાંવ ઇન્ટર કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંઘર્ષની તસવીરો સામે આવી છે. અચાનક પડેલા વરસાદને કારણે નાળા પાસે ઘણી વિદ્યાર્થિનીઓ અહીં અટવાઈ ગઈ હતી, જેથી શિક્ષકોએ તેમને નાળું પાર કરાવ્યું હતું. મહત્વનું છે કે શાળા સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને આ પહાડી રસ્તાઓ પર 5 કિલોમીટર ચાલવું પડે છે.

પિથોરાગઢના ધારચુલામાં આકાશી દુર્ઘટના ઘટી હતી. તવાઘાટ રોડ પર શુક્રવારે પણ ભારે ભૂસ્ખલન ચાલુ રહ્યું હતું. ટેકરી પરથી ઘરના કદ કરતાં મોટા પથ્થરો પડ્યા હતા. એક બાઇક ચાલક પણ પથ્થર સાથે અથડાતા બચી ગયો હતો. આ વિસ્તાર ધારચુલા માર્કેટની ઉપર છે. જેના કારણે સતત ભૂસ્ખલનની ચપેટમાં 1 ઘર પણ આવી ગયું હતું. જેને લઈને ધારચુલા હેડક્વાર્ટરમાં અરાજકતાનો માહોલ છે. હાલ સહીની પોલીસ સતત લોકોને એલર્ટ કરી રહી છે.

એક તરફ ચમોલીના લામ્બાગઢમાં પહાડીમાં તિરાડો પડી રહી છે, ગંગોત્રી હાઈવે પર સતત પહાડ પરથી કાટમાળ પડી રહ્યો છે અને નૈનીતાલ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમામ પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓને પહાડોમાં મુસાફરી બે દિવસ માટે સ્થગિત કરવા અથવા સાવધાની સાથે રસ્તા પર જવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Sanata News
Author: Sanata News

Follow US

Find Us on Social Medias

લોકપ્રિય સમાચાર

  • digitalgriot
  • buzzopen
  • buzz4ai
  • marketmystique
  • digitalconvey